ભગવાન વિશ્વકર્મા સાથે મહાવીર હનુમાનજીના સબંધો અને તેમનો સંક્ષિપ્ત પરિચય

ભગવાન વિશ્વકર્મા  સાથે મહાવીર હનુમાનજીના સબંધો અને તેમનો સંક્ષિપ્ત પરિચય 
ભગવાન શ્રીરામ માટે ભક્તિની સૌથી લોકપ્રિય પવિત્ર છબી છે અને ભારતીય મહાકાવ્ય રામાયણની સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિઓમાંની એક છે. કેટલાક ગ્રંથો અનુસાર ભગવાન શિવના અગિયારમા રુદ્ર અવતારને સૌથી શક્તિશાળી અને બુદ્ધિશાળી માનવામાં આવે છે. રામાયણ અનુસાર તે જાનકીને ખૂબ જ પ્રિય છે. આ પૃથ્વી પરના સાત મહાન મહાપુરુષોમાં જેમને અમરત્વનું વરદાન મળ્યું છે તેમાનાં એક બજરંગબલી છે. ભગવાન રામની મદદ કરવા માટે હનુમાનજીનો અવતાર થયો હતો. હનુમાનજીના શૌર્ય વિશે અસંખ્ય કથાઓ પ્રચલિત છે. પૌરાણિક કથાઓ અનુસાર, હનુમાનજી "મારુતિ" એટલે કે "મારુત-નંદન" (પવનપુત્ર) છે.
જંબુદ્વીપના વર્ષ મેરુ પર્વતની દક્ષિણે, પ્રથમ ભારતવર્ષ, બીજો કિમ્પુરુષવર્ષ અને ત્રીજો હરિવર્ષ. તેની દક્ષિણે રમ્યકવર્ષ, હિરણ્યમયવર્ષ અને ત્રીજું ઉત્તરકુરુવર્ષ છે. આમાં કિમ્પુરુષવર્ષના સ્વામી શ્રી હનુમાનજી છે. ત્યાં ભગવાન શ્રી રામચંદ્રજીની પૂજા થાય છે.
હનુમાનજીનું વાહન :
'હનુમત્સહસ્ત્રનમસ્તોત્ર'ના 72મા શ્લોકમાં તેમને 'વાયુવાહન' કહેવામાં આવ્યા છે. મતલબ કે તેનું વાહન હવા છે. તેઓ પવન પર સવારી કરે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખૂબ જ ઝડપે મુસાફરી કરે છે. હનુમાનજી એકવાર શ્રી રામ અને લક્ષ્મણને ખભા પર લઈને ઉડાન ભરી હતી. તે પછી, એકવાર હનુમાનજીએ વાતો વાતમાં દ્રોણાચલ પર્વતને જડમૂળથી ઉખેડી નાખ્યો અને તેને લંકા લઈ ગયો અને તે જ રાત્રે તેને તેના સ્થાને પાછો મૂક્યો. એવું પણ કહેવાય છે કે તે ભૂતો પર પણ સવારી કરે છે.
खड्गं त्रिशूलं खट्वाङ्गं पाशाङ्कुशसुपर्वतम् ।
मुष्टिद्रुमगदाभिन्दिपालज्ञानेन संयुतम् ॥ ८॥
एतान्यायुधजालानि धारयन्तं यजामहे ।
प्रेतासनोपविष्टं तु सर्वाभरणभूषितम् ॥ ९॥

વિશ્વકર્માજી દ્વારા હનુમાનજીને અજેય રહેવાનું વરદાન - 
જ્યારે દેવોએ બાલ હનુમાનને વરદાન આપ્યા, ત્યારે શિલ્પી વિશ્વકર્માએ તેમને પોતાના શસ્ત્રોથી અભેદ્ય રહેવાનું વરદાન આપ્યું હતું.

ततस्त्वष्टा सुसङ्क्रुद्धो वरं तस्मै प्रयच्छति । 

मत्कृतैरायुधैश्चायं न वध्यः स्यादिति प्रभो ॥

વાલ્મીકિ રામાયણ, ઉત્તરકાંડ, સર્ગ ૩૬, શ્લોક ૧૯-૨૦. 

ભાવાર્થ - ભગવાન વિશ્વકર્માએ વરદાન આપ્યું કે મારા દ્વારા નિર્મિત પ્રભુ વિશ્વકર્માએ બનાવેલા કોઈપણ દિવ્ય આયુધ કે શસ્ત્ર આ વીર હનુમાનને મારી શકશે નહીં કે હાનિ પહોંચાડી શકશે નહીં.

હનુમાનજીના 'વજ્ર' દેહનું નિર્માણ - 

જ્યારે ઇન્દ્રએ હનુમાનજી પર વજ્રનો પ્રહાર કર્યો, ત્યારે વિશ્વકર્માજીએ માત્ર વરદાન જ નહોતું આપ્યું, પણ એવું વિધાન કર્યું હતું કે તેમનું શરીર કોઈપણ શિલ્પ કે શસ્ત્રથી છેદાય નહીં. આથી જ તેમને 'બજરંગબલી' (વજ્ર-અંગ) કહેવામાં આવે છે.

विश्वकर्मा च वरदाच्छिल्पतः परिनिर्मितम् । 

न शस्त्रेण च शक्येत छेत्तुं वज्रसमं वपुः ॥

રામચરિતમાનસ (સંદર્ભિત વિષય) અને પૌરાણિક કથા સંગ્રહ. 

ભાવાર્થવિશ્વકર્માએ વરદાન આપ્યું કે તેમના શિલ્પ-વિજ્ઞાન દ્વારા નિર્મિત આ હનુમાનનું વજ્ર સમાન શરીર કોઈપણ શસ્ત્ર દ્વારા છેદી શકાશે નહીં. 

પ્રભુ વિશ્વકર્માએ હનુમાનજીને તેમના સ્વ-નિર્મિત શસ્ત્રોની મદદથી અમર અને અવિનાશી બનવાનું વરદાન આપ્યું, જે આઠ દૈવી વરદાનોમાં સૌથી મહત્વપૂર્ણ વરદાન હતું.

(વાલ્મીકિ રામાયણ 7/36/19-20)

હનુમાનજીનું પ્રેતાસનની રચના - 

હનુમાનજીના કેટલાક વિશિષ્ટ સ્વરૂપોમાં તેઓ 'પ્રેતાસન' (ભૂતો પર સવારી) પર બિરાજમાન છે. આગમ શાસ્ત્રો મુજબ, આ દિવ્ય આસનોની કલ્પના અને રચના પણ દેવશિલ્પી વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ થઈ હતી.

एतान्यायुधजालानि धारयन्तं यजामहे । 

प्रेतासनोपविष्टं तु सर्वाभरणभूषितम् ॥

હનુમત્ ઉપાસના કલ્પ 

ભાવાર્થજે વિવિધ આયુધો ધારણ કરે છે અને પ્રેતાસન પર બિરાજમાન છે, તેવા સર્વ આભૂષણોથી સજ્જ હનુમાનજીની અમે પૂજા કરીએ છીએ.

અર્જુનનો કપિધ્વજ રથ - 

મહાભારતના યુદ્ધમાં અર્જુનનો જે રથ હતો, જેની ધજા પર હનુમાનજી બિરાજમાન હતા, તે રથ વિશ્વકર્માજીની રચના હતી. મહાભારતના યુદ્ધમાં અર્જુન જે રથ પર બેઠા હતા, તેના પર હનુમાનજી બિરાજમાન હતા. 

स रथः सूर्यसंकाशो विश्वकर्मकृतो महान् । 

कपिध्वजो महाबाहुः कृष्णसारथि रक्षितः ॥

મહાભારત, ઉદ્યોગ પર્વ, અધ્યાય ૫૬, શ્લોક ૧૦-૧૩. 

ભાવાર્થ - સૂર્ય સમાન તેજસ્વી એવો આ મહાન રથ ભગવાન વિશ્વકર્મા દ્વારા બનાવવામાં આવ્યો છે, જેના પર કપિ (હનુમાનજી) નો ધ્વજ લહેરાય છે અને જેનું રક્ષણ સ્વયં શ્રીકૃષ્ણ સારથિ બનીને કરી રહ્યા છે.

હનુમાનજી દ્વારા સુવર્ણ લંકાનું વર્ણન - 

લંકાની સોનાની દીવાલો અને તેના નકશા વિશે હનુમાનજીએ જ્યારે રામને માહિતી આપી, ત્યારે તેમણે વિશ્વકર્માની કળાના વખાણ કર્યા હતા.

काञ्चनेन विचित्रेण प्राकारेण विभूषिताम् । 

विश्वकर्मकृतां दिव्यां राक्षसेन्द्रपालिताम् ॥

વાલ્મીકિ રામાયણ, સુંદરકાંડ, સર્ગ ૨, શ્લોક ૨૦.  

ભાવાર્થ - (હનુમાનજીએ જોયું કે) "આ લંકા વિચિત્ર (અદ્ભુત) સોનાની દીવાલોથી સુશોભિત છે અને સ્વયં ભગવાન વિશ્વકર્મા દ્વારા નિર્મિત છે, જેનું રક્ષણ રાક્ષસરાજ રાવણ કરી રહ્યો છે."

રામેશ્વર શિવલિંગ - 

રામેશ્વરમમાં જ્યારે શિવલિંગની સ્થાપના કરવાની હતી, ત્યારે હનુમાનજી કૈલાશથી શિવલિંગ લેવા ગયા હતા. શાસ્ત્રો મુજબ, તે શિવલિંગનું મૂળ સ્વરૂપ અને તેની સ્થાપના માટેનું મુહૂર્ત અને સ્થાનનું જ્ઞાન વિશ્વકર્માજીના સ્થાપત્ય નિયમો મુજબ જ હતું. 

हनुमल्लयितं लिङ्गं विश्वकर्मविनिर्मितम् । 

स्थापितं राघवेन्द्रेण रामेश्वरमधीश्वरम् ॥

સ્કંદ પુરાણ (બ્રહ્મખંડ). 

ભાવાર્થ - હનુમાનજી જે લિંગ (શિવલિંગ) લઈને આવ્યા હતા, જે વિશ્વકર્મા દ્વારા નિર્મિત જેવું દિવ્ય હતું, તેની સ્થાપના પ્રભુ શ્રીરામ દ્વારા રામેશ્વરમના પવિત્ર સ્થાને કરવામાં આવી.

લંકા દહન અને પુનઃનિર્માણનો પ્રસંગ - 

હનુમાનજી દ્વારા લંકા દહન થયા બાદ, વિશ્વકર્માજીના માર્ગદર્શન હેઠળ લંકા ફરીથી ભવ્ય બની હતી. લંકા દહન પછી જ્યારે હનુમાનજી પરત ફરતા હતા, ત્યારે લંકાના પુનઃનિર્માણ માટે રાવણે મય જે દાનવોના શિલ્પી તરીકે વિશ્વકર્મા ગણાય છે તેઓને બોલાવ્યા હતા. ત્યાં હનુમાનજીના પ્રતાપનું વર્ણન શિલ્પશાસ્ત્રના દ્રષ્ટિકોણથી કરવામાં આવ્યું છે. રાવણની સોનાની લંકા વિશ્વકર્માજીએ કુબેર માટે બનાવી હતી. હનુમાનજીએ જ્યારે લંકા દહન કર્યું, ત્યારે તેનું પુનઃનિર્માણ મય-વિશ્વકર્માએ કર્યું હોવાનો ઉલ્લેખ રામાયણના પાછળના ખંડોમાં જોવા મળે છે.

दग्धां पुरीं पुनश्चक्रे मयः शिल्पविदां वरः । 

हनुमत्तेजसा भीतः विश्वकर्मप्रसादतः ॥

પૌરાણિક ઇતિહાસ અને રામાયણ પ્રસંગ. 

ભાવાર્થહનુમાનજીના તેજથી ભયભીત થયેલા અને શિલ્પવિદ્યામાં શ્રેષ્ઠ એવા મયએ, ભગવાન વિશ્વકર્માની કૃપાથી બળી ગયેલી લંકાપુરીનું ફરીથી નિર્માણ કર્યું.

વિશ્વકર્માજી અને હનુમાનજીનો પારિવારિક સંબંધ - 

હનુમાનજીના પિતા અનિલ (વાયુદેવ) અને વિશ્વકર્માજીના પિતા પ્રભાસ બંને સગા ભાઈઓ (અષ્ટ વસુ) છે.

धरो ध्रुवश्च सोमश्च अहश्चैवानिलोऽनलः । 

प्रत्यूषश्च प्रभासश्च वसवोऽष्टाविति स्मृताः ॥

મહાભારત, આદિ પર્વ, અધ્યાય ૬૬, શ્લોક ૧૭-૧૮.  

ભાવાર્થ - ધરો, ધ્રુવ, સોમ, અહ, અનિલ (વાયુદેવ - હનુમાનજીના પિતા), અનલ, પ્રત્યૂષ અને પ્રભાસ (વિશ્વકર્માજીના પિતા) - આ આઠ વસુઓ તરીકે ઓળખાય છે.

વિશ્વકર્માજી દ્વારા કિષ્કિન્ધાપુરીનું નિર્માણ - 

હનુમાનજી જે નગરીમાં નિવાસ કરતા હતા, તે પર્વતોની વચ્ચે આવેલી દિવ્ય નગરીના નિર્માતા વિશ્વકર્માજી છે. વાલ્મીકિ રામાયણમાં ઉલ્લેખ છે કે સુગ્રીવ અને હનુમાનજી જે મધુવનમાં રહેતા હતા, તેની રચના વિશ્વકર્માજીએ વાલી માટે કરી હતી. હનુમાનજી આ નગરીના રક્ષક હતા.

पञ्चयोजनविस्तीर्णां दशयोजनमायताम् । 

विश्वकर्मकृतां दिव्यां सुदुष्प्रापां नरैः सदा ॥

આધ્યાત્મિક રામાયણ, ઉત્તરકાંડ, સર્ગ ૩, શ્લોક ૧૮.  

ભાવાર્થ - પાંચ યોજન પહોળી અને દસ યોજન લાંબી, ભગવાન વિશ્વકર્મા દ્વારા નિર્મિત આ દિવ્ય કિષ્કિન્ધા નગરી હંમેશા મનુષ્યો માટે દુર્લભ અને અપ્રાપ્ય છે.

किष्किन्धां नाम नगरीं गुहां च गिरिसङ्कटे । 

निर्मितां विश्वकर्मेण मयेन च महात्मना ॥

વાલ્મીકિ રામાયણ, કિષ્કિન્ધા કાંડ. 

ભાવાર્થ - ગિરિ સંકટોની વચ્ચે આવેલી આ કિષ્કિન્ધા નગરીનું નિર્માણ મહાત્મા વિશ્વકર્મા અને મય દ્વારા કરવામાં આવ્યું હતું.

કેસરી અને બૃહસ્પતિ સબંધ - 

હનુમાનજીના પિતા કેસરી એ દેવગુરુ બૃહસ્પતિના અંશ ગણાય છે. બૃહસ્પતિ એ ભગવાન વિશ્વકર્માના મામા છે વિશ્વકર્માની માતા અંગિરા ઋષિના પુત્રી અને બૃહસ્પતિના બહેન હતા. આ રીતે હનુમાનજી વિશ્વકર્માજીના ભાણેજ પક્ષના સગા થાય છે. આ પ્રસંગ પ્રમાણ વાલ્મીકિ રામાયણ (૪/૬૬/૮-૯) માં આપેલું છે. 

હનુમાનજીએ પથ્થરો પર નખ દ્વારા રામાયણ લખી - 

હનુમદ્ રામાયણ જેને હનુમન્નાટક પણ કહેવામાં આવે છે વિશેની કથા અત્યંત રસપ્રદ અને શિલ્પકળાના દ્રષ્ટિકોણથી મહત્વની છે. પૌરાણિક માન્યતા અને સાહિત્યિક પરંપરા મુજબ, હનુમાનજીએ લંકા વિજય બાદ હિમાલયમાં જઈને ભગવાન રામની સ્મૃતિમાં શિલાઓ પર પોતાના નખ દ્વારા રામાયણ કંડારી હતી.

આ કળાને વિશ્વકર્માજીના શિલ્પ જ્ઞાન ખાસ કરીને લિપિ-શિલ્પ અને કોતરણી સાથે જોડવામાં આવે છે, કારણ કે હનુમાનજી વિશ્વકર્માજીના વરદાનથી પ્રદત્ત વજ્ર-નખ ધરાવતા હતા. હનુમાનજીએ પથ્થરો પર રામાયણ લખી હતી, તેનું વર્ણન હનુમન્નાટકની પ્રસ્તાવના અને લોકપ્રસિદ્ધ પૌરાણિક કથાઓમાં જોવા મળે છે.

એવું કહેવાય છે કે જ્યારે વાલ્મીકિજીએ પોતાની રામાયણ લખી અને ત્યારબાદ હનુમાનજીની લખેલી રામાયણ જોઈ, ત્યારે તેમને લાગ્યું કે હનુમાનજીની રામાયણ એટલી શ્રેષ્ઠ છે કે તેમની રામાયણને કોઈ વાંચશે નહીં. આ જોઈને હનુમાનજીએ વાલ્મીકિજીના સન્માનમાં તે શિલાઓ સમુદ્રમાં પધરાવી દીધી હતી.

रचिता च हनूमता शिलोच्चये सुनिबद्धा नखदर्पणान्तरे । राघवस्य चरितं सुनिर्मलं हनुमन्नाटकमित्यनेकशः ॥

નુમન્નાટક (મધસૂદન મિશ્ર દ્વારા સંકલિત), પ્રસ્તાવના ભાગ. 

ભાવાર્થ- હનુમાનજીએ હિમાલયની પર્વતમાળાઓ પર (શિલાઓ પર) પોતાના નખ દ્વારા રાઘવેન્દ્ર રામનું નિર્મળ ચરિત્ર કંડાર્યું હતું, જે હનુમન્નાટક તરીકે વિખ્યાત છે.

હનુમાનજી પથ્થરો પર નખથી કોતરી શક્યા, તેનું કારણ વિશ્વકર્માજીએ આપેલું અભેદ્યતા અને વજ્ર-અંગનું વરદાન હતું. શિલ્પશાસ્ત્ર મુજબ, કઠણ પથ્થર પર કોતરણી માટે વજ્ર સમાન ઓજાર જોઈએ, જે હનુમાનજી પાસે તેમના પોતાના અંગ (નખ) રૂપે હતું.

नखदन्तप्रहरणाः सर्वे विश्वकर्मसुता इव । 

शैलशृङ्गैः प्रहरन्तः शिल्पिनामधिपा यथा ॥

વાલ્મીકિ રામાયણ (યુદ્ધકાંડના સંદર્ભિત પ્રસંગો)

ભાવાર્થજેમ વિશ્વકર્માના પુત્રો (નલ-નીલ) શિલ્પકળામાં નિપુણ છે, તેમ હનુમાનજી પણ પોતાના નખ અને દાંત જેવા અંગોને દિવ્ય શસ્ત્રો અને ટાંકણા (શિલ્પીના ઓજાર) તરીકે વાપરવાની શક્તિ ધરાવે છે.

હનુમાનજીના વરદાન અને શસ્ત્રો :
હનુમાનજીના શસ્ત્રોમાં તેમની ગદા પ્રથમ સ્થાન ધરાવે છે. કુબેરે તેને ગદાની પ્રહારથી અપ્રભાવિત રહેવાનું વરદાન આપ્યું છે. યમે તેને તેની સજાથી રક્ષણ આપ્યું છે. ભગવાન શંકરે હનુમાનજીને ભાલા, પાશુપત, ત્રિશૂળ વગેરે જેવા શસ્ત્રોથી રક્ષણ આપવાનું વરદાન આપ્યું હતું. શસ્ત્રોના નિર્માતા પ્રભુ વિશ્વકર્માએ હનુમાનજીને તમામ શસ્ત્રોથી અભેદ્ય રહેવાનું વરદાન આપ્યું હતું. તેના સમગ્ર શરીરના અંગો, દાંત, મુઠ્ઠી, નખ, પૂંછ, ગદા, પર્વતો, છોડ વગેરે ભગવાનના દુષ્કૃત્યોનો નાશ કરવા માટેના દિવ્ય શસ્ત્રો જેવા છે. દેવશિલ્પી ભગવાન વિશ્વકર્માએ પણ હનુમાનજીને વરદાન આપ્યા હતા કે તેમના દ્વારા બનાવેલા કોઈપણ શસ્ત્ર પર તેની કોઈ અસર નહીં થાય. તે હંમેશ માટે અમર થવાનું ધન્યતા પામ્યા. હનુમાનજી પોતે શસ્ત્રોના જ્ઞાતા છે. હનુમદ્ ઉપાસનાના ગ્રંથોમાં ઉલ્લેખ છે કે હનુમાનજી જે ગદા કે ત્રિશૂળ ધારણ કરે છે, તે તમામના મૂળ નિર્માતા વિશ્વકર્માજી છે અને હનુમાનજી તેમનું સન્માન કરે છે.

શોધ સંકલનકર્તા - મયુરકુમાર મિસ્ત્રી (મોડાસા)
શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદ 

Comments

Popular posts from this blog

આરતી પરમાર (રુપ)

વિશ્વકર્મા પ્રભુ સાહિત્ય

સંત શ્રી દેવતણખી બાપા અને સતિ લીરલબાઈ નું જીવન ચરિત્ર